Luke 14

1અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા. 2એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો. 3ઈસુએ પંડિતોને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજા કરવા તે ઉચિત છે કે નહિ?

4પણ તેઓ મૌન રહ્યા. [ઈસુએ] તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો. 5તેમણે [ઈસુએ] તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ? 6એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.

7ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દૃષ્ટાંત કહ્યું કે, 8‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય. 9જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, ‘એને જગ્યા આપ’; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.

10પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. 11કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’

12જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ તેમણે [ઈસુ]એ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.

13પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળોઓને તથા અંધજનોને તેડાવ. 14તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’

15તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તેને આશીર્વાદ છે.’ 16પણ તેમણે [ઈસુએ] તેને કહ્યું કે, ‘કોઈ એક માણસે રાતના મોટો ભોજનસમારંભ યોજ્યો. તેણે ઘણાને આમંત્રણ આપ્યું. 17તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેડાવ્યું કે આવો; ‘કેમ કે હમણાં બધું [ભોજન] તૈયાર [થયું] છે’.

18સર્વ એકસાથે બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’ 19બીજાએ કહ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, અને હું તેમને પારખવા જાઉં છું; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’ 20અન્ય એકે કહ્યું કે, ‘મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.’

21પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી; ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગળાઓને અને અંધજનોને બોલાવી લાવ.’ 22તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.’

23માલિકે કહ્યું કે, ‘રસ્તાં પર તથા ગલીઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ, કે મારું ઘર ભરાઈ જાય. 24કેમકે હું તમને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.’

25હવે ઘણા લોક તેમની [ઈસુની] સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે, 26‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઇ શકતો નથી.

28કેમકે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પુરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? 29રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પુરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે, 30અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.

31અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર [સૈનિકો] લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર [સૈનિકોને] લઈ લડી શકીશ કે નહિ? 32નહિ તો બીજો [રાજા] હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિષે પૂછશે. 33તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થવાને પાત્ર નથી.

34મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે? તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.’

35

Copyright information for GujULB